ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક નવી રાજકીય “પરંપરા” ઊભી થઈ છે — સમાજના નામે શક્તિ બતાવવાની. પછી એ પાટીદાર કે કોળી કે રાજપૂત કે બ્રહ્મ કે ઠાકોર સમાજના નેતાઓ વચ્ચે હવે એક નવો ટ્રેન્ડ ચાલે છે — સમાજ એકતા, સંમેલન, મહાસંમેલન, અને તે પછી રાજકીય વાટાઘાટ. સમાજનું નામ, પણ હકીકતમાં ઉદ્દેશ રાજકારણ.
દિયોદર ખાતે યોજાયેલ ઠાકોર સમાજના સંમેલનમાં પણ એ જ દૃશ્ય. અલગ-અલગ પક્ષના નેતાઓ એક મંચ પર આવ્યા, સમાજ એકતાની વાત કરી, વ્યસનમુક્તિ અને કુરીવાજ નાબૂદ કરવાની જાહેરાતો થઈ. પણ પ્રશ્ન એ છે — શું આ ભાષણો પછી કોઇ વાસ્તવિક પરિવર્તન આવ્યું છે? કે પછી આ પણ એક રાજકીય ગરબો છે, જે ચૂંટણી પહેલા માત્ર “પ્રચારનો પાવડર” છાંટવા માટે છે?
સાચું કહીએ તો, આ સંમેલનો હવે સમાજની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા કરતા રાજકીય ફાયદો મેળવવાનો માધ્યમ બની ગયા છે. આજે સમાજના નેતાઓ માટે “એકતા” એ મતદાન પહેલા દેખાડવાનો સ્ટેજ શો બની ગયો છે. વાસ્તવમાં જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે એ જ નેતાઓ એકબીજાને હરાવવા માટે ખોટા હથિયાર સુધી લઈ જાય છે. તો પછી આ કેવી એકતા?
અલ્પેશ ઠાકોર જેવા નેતાઓએ એક સમયે દારુબંધિ, વ્યસનમુક્તિ અને સમાજ ઉન્નતિની વાત કરી હતી. પણ હવે વર્ષો બાદ, એ જ પ્રદેશમાં દારૂના અડ્ડા યથાવત છે. પ્રશ્ન છે — હવે સત્તા પાસે હોવા છતાં એ અડ્ડા કેમ બંધ નથી? જવાબ સ્પષ્ટ છે — ઉદ્દેશ સમાજ સુધારવાનો નહોતો, ઉદ્દેશ માત્ર રાજકીય ચહેરો ચમકાવવાનો હતો.
આજે ઠાકોર સમાજમાં એવા લોકોને વખાણ મળે છે, જેઓ મોંઘી કારમાં ફરે છે, મંચ પર બેસે છે અને સત્તાની નજીક છે. સાચા સમાજસેવકો, જે ખરેખર પરિવર્તન લાવવા માગે છે, એ તો કિનારે છોડી દેવાય છે. સમાજ હવે એવા લોકોને શોધે છે, જે દેખાવે “એકતા” અને અંદર અંદર ફાડી નાખે “વિભાજન”.
જો આ નેતાઓ ખરેખર સમાજ સુધારવા માગતા હોય, તો તે સમય મર્યાદા નક્કી કરે: પાંચ વર્ષમાં દરેક ગામ વ્યસનમુક્ત, કુરીવાજમુક્ત બનાવવાનો સંકલ્પ લે. દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવે, યુવાઓને રોજગાર સાથે જોડે. પ્રેમ લગ્ન રોકવાના બદલે સમાજમાં સંસ્કાર અને પ્રેમની સમજણ ફેલાવે. પણ નહીં — આ મુશ્કેલ કામ છે, તેથી સૌએ સમાજના નામે રાજકારણ જ કરવાનું પસંદ કર્યું છે.
સમાજને હવે સમજવું પડશે કે આ “એકતા”ના નામે યોજાતા સંમેલનો માત્ર રાજકીય નાટક છે — જ્યાં દરેકને પોતાના હિસ્સાની મલાઈ ખાવાની છે. સમાજનું સાચું ઉદ્ધાર તો ત્યારે જ થશે, જ્યારે એના સભ્યો પોતે પ્રશ્ન પૂછશે — “આ લોકો અમારા માટે છે કે માત્ર પોતાના માટે?”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ