ગોંડલની રાજકીય લડાઈમાં હાઈકોર્ટનો નવો વળાંક
37 વર્ષ જૂના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી રદ
37 વર્ષ જુના પ્રકરણે લીધો નવો વળાંક
37 વર્ષ જુના પ્રકરણે લીધો નવો વળાંક
ગુજરાતના રાજકારણમાં ગોંડલ હંમેશા સત્તાનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે પણ રાજકારણની વાત હોય અને ગોંડલને યાદ કરવામાં ન આવે તેવું બની શકે નહીં. આજે સાડા ત્રણ દાયકા પછી ફરી એક જૂનું પ્રકરણ જીવંત બન્યું છે. આ શહેરમાં આજે પણ સત્તા અને પ્રતિષ્ઠાની લડાઈ ચાલી રહી છે, જેનો પાયો લગભગ ૩૭ વર્ષ પહેલાં એક લોહિયાળ ઘટનાથી નંખાયો હતો. આખરે શું છે સમગ્ર ઘટના, ચાલો જાણીએ.
લોહિયાળ હત્યાકાંડ જેણે ગોંડલનું રાજકારણ બદલ્યું
આ વાત છે ૧૯૮૮ની, જ્યારે ગોંડલના રાજકારણમાં બે મોટા સમુદાયો વચ્ચે સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ હતી. એક તરફ હતા લોકપ્રિય ખેડૂત નેતા અને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા, જેમને લેઉવા પટેલ સમાજનો ટેકો હતો. ગોંડલ વિધાનસભા બેઠક પર ૮૦% મતદારો પાટીદાર સમાજના હોવાથી આ બેઠક તેમની જાગીર ગણાતી હતી. પોપટ સોરઠિયા એક બાહુબલી નેતા પણ હતા, જેમણે ગુંડાગીરી સામે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો.

બીજી તરફ હતા રીબડાના શક્તિશાળી ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. આ બંને સમાજ વચ્ચેની રાજકીય દુશ્મની ૧૫ ઓગસ્ટ, ૧૯૮૮ના દિવસે એક લોહિયાળ રૂપ ધારણ કરી ગઈ. ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ હજારો લોકોની હાજરીમાં ધારાસભ્ય પોપટ સોરઠિયાના માથા પર પિસ્તોલ મૂકી અને ગોળી મારીને તેમની હત્યા કરી નાખી.
આ ઘટનાથી સમગ્ર ગોંડલમાં હાહાકાર મચી ગયો. પટેલ સમાજમાં રીબડાનો ખોફ ફેલાઈ ગયો. આ ઘટના બાદ અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય બન્યા. પરંતુ ભાજપે 'લોઢું લોઢાને કાપે' તેવી કુટનીતિ અપનાવી અને દબંગ નેતા જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા, જેમણે મહિપતસિંહને હરાવ્યા અને ગોંડલની સત્તાનું સમીકરણ બદલી નાખ્યું.
37 વર્ષ પછી ન્યાયતંત્રનો નવો વળાંક
વર્ષો જૂની આ ઘટનાના ચુકાદામાં હવે એક નવો વળાંક આવ્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં ૧૯૯૩માં રાજકોટ સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ સરકારે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેના પરિણામે 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી. આજીવન કેદની સજા થયા બાદ અનિરુદ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા અને વર્ષ 2000 માં સરેન્ડર કર્યું. ત્યારબાદ 2018માં તેમના પુત્ર દ્વારા સજા માફી માટે અરજી કરાતા તેમને જેલમુક્ત કરવામાં આવ્યા. આમ, તેમણે લગભગ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો.

જોકે, હવે આ કિસ્સામાં મૃતક પોપટ સોરઠિયાના પૌત્રએ આ સજા માફી સામે હાઈકોર્ટમાં અરજી કરી. આ અરજી પર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરીને તેમને ફરી એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે, કારણ કે આ નિર્ણય સીધો અનિરુદ્ધસિંહ જૂથને અસર કરશે.
સત્તાની આ લડાઈ આજની નથી. વર્ષો પહેલાં શરૂ થયેલી આ દુશ્મનીમાં આજે પણ તણખલા ઝરી રહ્યા છે. શું આ ચુકાદાથી ગોંડલના રાજકીય સમીકરણો ફરી બદલાશે? શું આ જૂની દુશ્મની ફરી એકવાર નવા સ્વરૂપે સામે આવશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો