સુરતના કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી
જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
કલ્પેશ પટેલ સુરત જિલ્લાંનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં વતની છે.પિતાનાં અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેમની કેળની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ જાતની કેળની ખેતી કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી છે રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જૈવિક ખાતર અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.
સંવેદનશીલ વ્યક્તિનાં જીવનમાં બનેલી કોઇ ઘટના તેના આખાય જીવનને બદલી નાંખે છે અને બીજાને માટે પથદર્શક બને છે.સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં ખેડૂત કલ્પેશ પટેલનાં જીવનમાં કંઇક આવુ જ બન્યું છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલી ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઇ પટેલનું કેન્સરમાં અવસાન થયા પછી કલ્પેશ પટેલનાં જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા તેમણે જીવનમાં ગાંઠ વાળી હતી કે, હવે પછી ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી.
કેળની વિવિધ જાતોની ખેતી અને ઉત્પાદનમાં દેશમાં રોલ મોડેલ બન્યા
કલ્પેશ પટેલને વારસામાં આઠેક વીધા જમીન મળી છે.સાડા ત્રણ વીઘા જમીનમાં તેમણે કેળની 50થી વધુની જાતની કેળ વાવી છે. જેમાં પુવન, આધાપુરી, રસ થલી, લાલ કેળ,બ્લુ જાવા,બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળા વગેરેનો સમાવેશ થાય છે.કેળાની વિવિધ જાતોની સાથે સાથે તેમણે ઉત્પાદનમાં પણ રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ-2025માં તેમના ખેતરમાં એક કેળની લૂમનું વજન 73 કિલો હતું.સામાન્ય રીતે કેળની એક લૂમનું વજન 20 થી 30 કિલો જેટલુ હોય છે. પણ કલ્પેશ પટેલની વાડીમાં કેળ પર સરેરાશ એક લૂમનું વજન 30 કિલોથી વધુ હોય છે.
જીવનનો વળાંક અને નવા પ્રયોગો
કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કારણ આપતા કહે છે કે,મારા પિતાજીને જ્યારે કેન્સર થયું ત્યારથી જ મને હતું કે, હવે કેમિકલ ફર્ટિલાઇઝરનાં ઝેરમાંથી આપણે મુક્ત થવું પડશે અને ધરતી માતાને પણ આ ઝેરમાંથી મુક્ત કરવી પડશે.પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પિતાજી ખેતી કરતા ત્યારે ખેતરમાં ખૂબ જંતુનાશક દવાઓ નાંખતા અને તેમના આખા શરીરમાંથી એ દવાની દુર્ગંધ આવતી. પણ હું ખેતી કરતો નહીં એટલે તેમને કશુ કહેતો નહીં પણ તેમને કેન્સર થયું અને. જીવનદીપ બુઝાયો અને મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો.
છેલ્લા સાત વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું
છેલ્લા સાત વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું.જંગલ મોડેલ પણ અપનાવ્યું છે.ખેત પેદાશમાં વેલ્યુ એડિશન કરું છું. અને ‘મારો માલ અને મારો ભાવ’ એ સિદ્ધાંતથી ખેતી કરુ છું અને વેચાણ કરું છું. પ્રાકૃતિક ખેતીને કારણે એક વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓનો ખર્ચ બંધ થઇ ગયો. વળી, જમીન સુધરતા કેળાનું પુષ્કળ ઉત્પાદન વધવા લાગ્યું, દર વર્ષે સાડા ત્રણ વીઘાનાં ખેતરમાં કેળની ખેતીથી 10 થી 12 લાખ રૂપિયાની આવક થાય છે.
વેલ્યૂ એડિશનથી વધારી આવક
પ્રાકૃતિક ખેતીમાં માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ મૂલ્યવર્ધન પણ મહત્વપૂર્ણ છે. કલ્પેશ પટેલ આ બાબતને સારી રીતે સમજે છે. જો કાચા કેળા વેચાયા વગર રહી જાય તો તેઓ તેમાંથી વેફર, કેળ પાવડર અને અન્ય ઉત્પાદનો બનાવીને વેચાણ કરે છે.ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ બજારો શરૂ કર્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આવા બજારમાં કલ્પેશ પટેલ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સીધા ગ્રાહકો સુધી પહોંચતા હોવાથી તેમને યોગ્ય ભાવ પણ મળે છે.
ઘરે બેઠા બીજા રાજ્યમાં કેળાનું વેચાણ
કલ્પેશ પટેલની પ્રાકૃતિક કેળની ખેતીનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચ્યો છે.. કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને કલ્પેશ પટેલની સફળતાથી સ્ટોરી તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમને બીજા રાજ્યોમાંથી પણ ઓર્ડર આવે છે અને આ ઓર્ડર પ્રમાણે પાર્સલ દ્વારા જે-તે રાજ્યમાં મોકલી આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ

રાજ્યમાં 1574 કરોડનું નુકસાન થયાનો અંદાજ, 16,387 ગામના 17.06 લાખ ખેડૂતો અસરગ્રસ્ત