ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા
ગુજરાતમાં ગૌરીવ્રત 6 જુલાઈથી શરૂ થશે. નાની બાળકીઓ માટીથી ભરેલા કોડિયામાં ઝવેરા ઉગાડે છે.

ગૌરીવ્રત

ગૌરીવ્રત
આપણા દેશમાં અનેક પરંપરાઓ અને વ્રતો સદીઓથી ચાલી આવે છે, જેમાં માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક અને ભાવનાત્મક પાસાઓ પણ ગૂંથાયેલા હોય છે. આવું જ એક વ્રત છે જેમાં ઝવેરા ઉગાડવાનું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત દરમિયાન, બાળકીઓ માટીથી ભરેલા કોડિયામાં વિવિધ બીજ રોપીને તેને નિયમિત પાણી આપી ઉછેરે છે. પાંચ દિવસ પછી, જ્યારે તે નાની કૂંપળોની જેમ વધે છે, ત્યારે તેનું પૂજન કરવામાં આવે છે. આ વ્રત માત્ર બાળકીઓને જ નહીં, પરંતુ માતાઓને પણ ભાવનાત્મક રીતે જોડે છે, જે તેને એક પરિવારિક પ્રથા બનાવે છે.
વ્રત માહાત્મ્ય
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.
જવારા શા માટે ?અષાઢ સુદ એકાદશીનો દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલાછમ જવારા નજરે પડવા લાગે છે. આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે. પરંતુ, મૂળે તો બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે ! એટલું જ નહીં, તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે. અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો. જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે.
બદલાતી જીવનશૈલી અને બજારમાં ઝવેરાની ઉપલબ્ધતા
આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો પાસે ઘરે ઝવેરા ઉગાડવાનો સમય ઓછો હોય છે. આથી, બજારમાંથી તૈયાર ઝવેરા ખરીદવાની પ્રથા વધી છે. મહેસાણાના મુખ્ય બજાર અને તોરણવાળી બજાર જેવા સ્થળોએ છથી સાત જેટલી જગ્યાએ ઝવેરાનું વેચાણ થતું જોવા મળે છે. ઝવેરા ઉપરાંત, જુવારના છોડના ડોકા, પૂજાપાત્રો અને અન્ય પૂજા સામગ્રી પણ વેચાય છે, જેનો ભાવ આશરે 80 થી 100 રૂપિયા સુધીનો હોય છે. આ દર્શાવે છે કે પરંપરા જીવંત છે, ભલે તેના પાલનની રીત બદલાઈ હોય.
ત્યાગ, સમર્પણ અને સંયમના પાઠ
આપણા દેશની એક વિશેષતા એ છે કે અહીંની સ્ત્રીઓને બાળપણથી જ ત્યાગ અને સમર્પણના પાઠ શીખવવામાં આવે છે. વ્રતો દ્વારા તેમને ભૂખ અને તરસ સામે સંઘર્ષ કરીને સંયમનો ગુણ કેળવવાનું શીખવવામાં આવે છે. આ વ્રતો શારીરિક કસોટી સમાન હોય છે, જે તેમને માનસિક દ્રઢતા આપે છે. છોકરીઓ પાંચ-પાંચ દિવસના મોળા ઉપવાસ કરતી હોય છે, જે ખરેખર દુષ્કર કાર્ય છે.
આજના સમયમાં સંવેદનશીલતા અને પુરુષોની ભૂમિકા
આજનો જમાનો કમનસીબે એટલો ખરાબ થઈ ગયો છે જ્યાં બાળકીઓથી માંડીને યુવતીઓ કે સ્ત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. જોકે, એવું નથી કે આજના દરેક પુરુષો ખરાબ છે, પરંતુ દીકરીઓ પર વધતા અત્યાચારોને કારણે કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે. આ છતાં, છોકરીઓ અતૂટ આસ્થા અને શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે. આ એક વિરોધાભાસ છે કે જે સમાજમાં અમુક અંશે સ્ત્રીઓનું અપમાન થયું છે, ત્યાં બાળપણથી જ તેમને પુરુષો માટે ઉપવાસ કરવાના સંસ્કાર શીખવવામાં આવે છે. આ જ આપણા દેશના સંસ્કારોની વિશેષતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ