Surat Builder Murder Case: સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે 55 વર્ષીય જમીન દલાલ અને બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ચાર શખસોએ પીછો કરીને ફૈસલને જાહેરમાં ઘેરી લીધો હતો અને છરીના 19 ઘા મારીને તેમની નિર્મમ હત્યા કરી હતી. હુમલો એટલો ગંભીર હતો કે ફૈસલના આંતરડા બહાર આવી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉથી ફૈસલનો પીછો કરી રહ્યા હતા. બ્રિજ પર પહોંચ્યા બાદ તક મળતાં જ ચારેય શખસોએ ફૈસલને ઘેરી હુમલો કર્યો હતો. હત્યા બાદ આરોપીઓ બે મોપેડ પર સવાર થઈ રોંગ સાઇડથી પંડોળ તરફ ફરાર થઈ ગયા હતા.
CCTV ફૂટેજથી પોલીસને મળી મહત્વની કડી
ચોકબજાર પોલીસે હત્યા બાદ બ્રિજ સહિત આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. મોપેડના નંબરના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. અત્યાર સુધીમાં 3 આરોપીની ઓળખ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તપાસમાં ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેકની સંડોવણી સામે આવી છે. મોપેડના આધારે પોલીસ અભિષેકના સંબંધીના ઘરે પણ પહોંચી હતી. તપાસમાં આ મોપેડ અભિષેક લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.
જમીન વિવાદ કે નાણાકીય લેવડદેવડમાં હત્યાની આશંકા
ફૈસલ હસન ફત્તા જમીન-મિલકતની દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સાથે જ તેઓ ક્રિપ્ટોકરન્સી અને USDT ટ્રેડિંગ સાથે પણ જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફૈસલનું દુબઈમાં પણ અવારનવાર આવવા-જવાનું રહેતું હતું. હાલ પોલીસ હત્યા પાછળ જમીન વિવાદ, નાણાકીય લેવડદેવડ અથવા સોપારીની શક્યતા સહિતના તમામ પાસાઓ તપાસી રહી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મોબાઈલ CDRથી હત્યાના કારણ સુધી પહોંચવાનો પ્રયાસપોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી છે. પરિવારજનોએ ફૈસલના ધંધાકીય વ્યવહારો અંગે ખાસ માહિતી ન હોવાનું જણાવ્યું છે. હવે પોલીસે મૃતકના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) કઢાવી તપાસ શરૂ કરી છે. પોલીસને આશા છે કે ફૈસલના છેલ્લા સંપર્કો, ફોન કોલ્સ અને નાણાકીય વ્યવહારોની તપાસથી હત્યા પાછળના કારણ અને સંભવિત માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં મહત્વની કડી મળી શકે છે.
10 પોલીસ ટીમો તપાસમાં જોડાઈ
ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. રાતડાના જણાવ્યા મુજબ, હત્યાના આરોપીઓને પકડવા ચોકબજાર પોલીસ, ઝોન-3 LCB, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની કુલ 10 ટીમો તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 300 CCTV ફૂટેજ ચેક કર્યા છે અને 50 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી છે. ટેક્નિકલ એનાલિસિસ અને CCTV તપાસના આધારે 3 આરોપીની ઓળખ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફૈસલ હસન ફત્તા પરિવાર સાથે રાંદેરમાં રહેતા હતા
મૃતક ફૈસલ હસન ફત્તા સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે રોડ પર આવેલી અલનુર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ જમીન-મિલકતની દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં પત્ની અને સંતાનો છે. તેમના મોટા પુત્ર દ્વારા કાપડનો હોલસેલ વ્યવસાય કરવામાં આવે છે. એક પુત્રી લગ્ન બાદ આફ્રિકામાં રહે છે, જ્યારે નાની પુત્રી 16 વર્ષની છે. ફૈસલના બીજા લગ્નથી પણ એક 10 વર્ષની પુત્રી હોવાનું સામે આવ્યું છે. હાલ સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર થયેલી આ હત્યામાં આરોપીઓની ધરપકડ અને હત્યા પાછળના ચોક્કસ કારણને લઈને પોલીસની તપાસ ચાલુ છે.