સુરત શહેર ભાજપ ખજાનચીને કાર્યકરે લાફો ઝીંકી દીધો!
ભાજપ કાર્યકર દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને ફડાકા ઝીંકી દેતાં ચકચાર

શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે નોટિસ પાઠવી બંને કાર્યકરો પાસે 3 દિવસમાં ખુલાસો માગ્યો

શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે નોટિસ પાઠવી બંને કાર્યકરો પાસે 3 દિવસમાં ખુલાસો માગ્યો
સુરત શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને હોદ્દેદાર વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર દિનેશ સાવલિયાએ શહેર ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલાને ફડાકા ઝીંકી દીધા હતા. ચા-નાસ્તાને લઈને દિનેશ સાવલિયાએ પટાવાળા સાથે બોલાચાલી કરી હતી.
બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરતાં જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે તૂં તૂં મૈ મૈ થઈ હતી. આ સમયે દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ ઘટના શહેર ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. શહેર ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, 'હું ખજાનચી છું અને મારે જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર.' આ બોલાચાલી હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા. તે સમયે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કો માર્યો હતો. તેથી દિનેશ સાવલિયાનો પિત્તો ગયો હતો. દિનેશ સાવલિયાએ અચાનક શૈલેષ જરીવાલાને ફડાકા ઝીંકી દીધા હતા.
બંને વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી ભાજપ કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ભાજપ કાર્યાલય પર દિનેશ સાવલિયાનું અગાઉ અનેક વખત વિવાદિત વર્તન રહ્યું છે. પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પણ ભાજપના અનેક કાર્યકરોએ દિનેશ સાવલિયા અંગે ફરિયાદો કરી હતી. ભાજપ કાર્યકરો દ્વારા જાણવા મળ્યું છે કે, નિરંજન ઝાંઝમેરાને દિનેશ સાવલિયા અંગે ચાર વખત ફરિયાદો કરી હતી.
શહેર ભાજપ કાર્યાલયમાં બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ પાઠવીને 3 દિવસમાં ખુલાસો કરવા કહ્યું છે. ત્રણ દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવો પડશે. તપાસમાં કસૂરવાર જણાશે તો પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પરેશ પટેલે જણાવ્યું છે.
સુરત ભાજપના કેટલાક કાર્યકરોના મતે આ ઝઘડો મૂળ સુરતી અને સૌરાષ્ટ્રના કાર્યકરોના વર્ચસ્વનો છે. જો કે, ઝઘડો મૂળ સુરતીનો હોય કે પછી સૌરાષ્ટ્રનો, પણ ભાજપ કાર્યાલયમાં બનેલી ઘટનાથી ભાજપની શિસ્તના ધજાગરા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?