PM Modi Vadodara Navsari Visit: વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GEN-Z યુવાનોને સંબોધતા વિકાસ, રેલવે, ટેક્નોલોજી, AI, શિક્ષણ અને આત્મનિર્ભર ભારત અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. PM મોદીના આગમન સમયે સભા સ્થળે ‘હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી’ ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાસ તૈયાર કરાયેલા રેમ્પ પરથી ચાલીને PM મોદીએ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. વડોદરાના આ કાર્યક્રમમાં PM મોદીએ ફ્રેઇટ કોરિડોર, રેલવેના આધુનિકીકરણ, સોલાર એનર્જી અને યુવાનો માટે સ્કિલ આધારિત શિક્ષણની જરૂરિયાત અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા ‘નારાજ ફૂફાજી’ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડોદરાના સ્વચ્છતા અભિયાનની PM મોદીએ કરી પ્રશંસા
PM મોદીએ વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવા માટે ગુજરાતમાં થઈ રહેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડોદરામાં ચલાવવામાં આવેલા ‘સ્વચ્છતાથી સ્વાગત’ અભિયાનની પ્રશંસા કરી અને શહેરના નાગરિકોને અભિનંદન આપ્યા. PM મોદીએ કહ્યું કે વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. ફ્રેઇટ કોરિડોરની અંતિમ કડીઓ જોડાવાથી દેશના પરિવહન અને વેપારને નવી ગતિ મળશે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અંગે વર્ષ 2004માં વિચાર શરૂ થયો હતો, પરંતુ લાંબા સમય સુધી તેની કામગીરી ધીમી રહી હતી.
WDFCથી માલ પરિવહનમાં સમય ઘટશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ને દેશના વેપાર અને પરિવહન માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 2014 બાદ ફ્રેઇટ કોરિડોરના કામને ગતિ આપવામાં આવી અને 2,500 કિલોમીટરથી વધુ કામ પૂર્ણ થયું છે. PM મોદીના જણાવ્યા મુજબ, અગાઉ 100 કિલોમીટરનું અંતર કાપવામાં માલગાડીને સાડા છ કલાક જેટલો સમય લાગતો હતો, જ્યારે હવે આ સમય લગભગ અડધો થઈ રહ્યો છે. ટ્રક મારફતે માલ પરિવહનમાં 30 કલાક લાગતા હતા, જે સમય હવે 10થી 12 કલાક સુધી ઘટી શકે છે.
‘નારાજ ફૂફાજી’નો ઉલ્લેખ કરી વિપક્ષ પર કટાક્ષ
GEN-Zને સંબોધતા PM મોદીએ JNPTથી વડોદરા સુધી શરૂ થયેલી ડબલ ડેકર માલગાડીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક ડબલ ડેકર માલગાડીમાં 250થી વધુ ટ્રક જેટલો માલ પરિવહન કરી શકાય છે. આ મુદ્દે તેમણે ‘નારાજ ફૂફાજી’નો ઉલ્લેખ કરતા વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે, 2014 થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા. જુની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી.
રેલવે, સોલાર અને રોજગાર પર PM મોદીનો ભાર
PM મોદીએ કહ્યું કે આ વર્ષે રેલવેનું બજેટ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. નવા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તેની આસપાસ ઉદ્યોગો વિકસશે અને રોજગારની નવી તકો ઊભી થશે. વડોદરા, છોટાઉદેપુર અને અલીરાજપુરના લોકોને નવી ટ્રેનોનો લાભ મળશે તેમ તેમણે જણાવ્યું. કડાણા ડેમના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને PM મોદીએ ભારતમાં સોલાર PV મોડ્યુલના ઉત્પાદન અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો.
GEN-Z માટે AI અને સ્કિલ આધારિત શિક્ષણનો સંદેશ
PM મોદીએ યુવાનોને કહ્યું કે આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ સ્કિલ પણ જરૂરી છે. તેમણે શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા ફેરફારો અને AIની વધતી ભૂમિકા અંગે વાત કરી. તેમણે યુવાનોને AIમાં નિપુણ બનવા માટે આહ્વાન કર્યું અને કહ્યું કે ટેક્નોલોજી આગામી સમયમાં અનેક ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવાના લક્ષ્ય સાથે યુવાનોને તૈયાર કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.
વડોદરા બાદ નવસારીમાં PM મોદીનો કાર્યક્રમ
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી નવસારી પહોંચશે. અહીં તેઓ જિલ્લાના ‘નમો કમલમ’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ કળશ સાથે તેમનું સ્વાગત કરશે. આ ઉપરાંત PM મોદી નવસારીમાં 5,000થી વધુ બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો અને અન્ય આગેવાનો સાથે સીધો સંવાદ કરશે.