મહેસાણા પૂર્વ સાંસદને ધોતીયાકાંડમાં 29 વર્ષે રાહત!
આત્મારામ પટેલનું ધોતીયું ખેંચવાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલને રાહત
ગુજરાત સરકાર તરફથી કેસ પરત ખેંચવા માટે મૂકેલી અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી
ગુજરાત સરકાર તરફથી કેસ પરત ખેંચવા માટે મૂકેલી અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી
અમદાવાદના સરદાર સ્ટેડિયમ બહાર 29 વર્ષ પહેલાં રાજ્ય સરકારના તત્કાલિન મંત્રી આત્મારામ પટેલનું ધોતીયું ખેંચવાના કેસમાં આરોપી મહેસાણાના પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલને રાહત મળી છે. ડો.એ.કે.પટેલ સામેનો કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશે ગ્રાહ્ય રાખતાં ધોતીયાકાંડ ઉપર પૂર્ણ વિરામ મૂકાયું છે.
રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે અરજીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ધોતિયાકાંડ કેસમાં પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી 41 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2018માં 39 જેટલાં આરોપીઓ વિરૂદ્ધનો કેસ પરત ખેંચવા મેટ્રો કોર્ટે મંજૂરી આપી હતી. જ્યારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળદાસ પટેલ વિરૂદ્ધનો કેસ બાકી રહી છે. મંગળદાસ પટેલ પણ ગુજરી ગયા છે અને તેમની વિરૂદ્ઘનો કેસ એબેટ થઈ ચૂક્યો છે.
જયારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ 95 વર્ષના વયોવૃદ્ધ અવસ્થામાં નાદુરસ્ત તબિયત સાથે જીવન ગુજારી રહ્યા છે. આ કેસમાં ભોગ બનનાર આત્મારામ પટેલનું 24 જુલાઈ, 2002ના રોજ મહેસાણા ખાતે નિધન થયું છે. આ તબક્કે ફરિયાદી પોલીસ ઇન્સ્પેકટર બી. આર. ગીગલાણીએ કેસ પરત ખેંચવામાં આવે તો તેમને કોઈ વાંધો કે તકરાર નહીં હોવાનું કોર્ટે જાહેર કર્યું હતું. કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાની પરવાનગી આપવા અંગેની સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારની અરજી મંજૂર રાખતા સેશન્સ કોર્ટે અવલોકન કર્યું છે કે, આ કેસ રાજકીય પક્ષની જાહેર સભામાં પક્ષના કાર્યકરો વચ્ચે થયેલા આંતરિક ઝઘડાનો છે. આ બનાવને 28 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ભોગ બનનાર આત્મારામ પટેલનું અવસાન થઈ ચૂકયું છે. જયારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ હાલમાં 95 વર્ષની વયના છે. રાજકીય પક્ષની આંતરિક તકરારને લગતો કેસ હોવાથી સમાજના વિશાળ હિતમાં કેસ પાછો ખેંચવા પરવાનગી માંગવામાં આવી હતી. ગુનાનું સ્વરૂપ, હાલના સંજોગો અને આરોપીની વય સહિતના પાસાઓ ધ્યાનમાં લેતાં સરકારની કેસ પરત ખેંચવાની અરજી મંજૂર રાખવામાં આવી છે.
શું હતો ‘ધોતિયાકાંડ”નો મામલો?
વર્ષ 1995માં ભાજપે ગુજરાતમાં પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. જે તે સમયે મુખ્યમંત્રીના બદલે પ્રદેશ મહામંત્રી નિર્ણયો લેતાં હતા. તેથી આઈ.એ.એસ., આઈ.પી.એસ., અને ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. શંકરિસંહ વાઘેલાએ તેમાં સંમતિ દર્શાવી હતી. સ્થિતિ એવી સર્જાઈ કે, કેશુભાઈને ભાજપના ટોચના નેતાથી અલગ કરી દેવાયા હતા.
શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો અને સરકાર પાડી દેવાના ઇરાદે વાસણા ગામમાં ધારાસભ્યોનો કેમ્પ કર્યો હતો. ત્યારબાદ 40-45 ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટથી વિમાનમાર્ગે મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે લઈ જવાયા હતા. જે બાદમાં ખજુરાહો કાંડ તરીકે ઓળખાયુ હતું. ખજૂરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેયીએ શંકરસિંહને સમજાવી વચલો માર્ગ કાઢી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. સંઘના મૂળ લોકોને આ વાત પસંદ પડી ન હતી. તેથી અટલ બિહારી વાજપેયીનો વિરોધ કરવા માંડ્યો હતો અને તે વખતે એવા સૂત્રોચ્ચાર થયા હતા કે, 'વાજપેયી કી ધોતી 7 કરોડમેં બીકી.'
વર્ષ 1996માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીત્યા હતા. વડાપ્રધાન બનતાં 20 મે, 1996ના રોજ વાજપેયીનું સન્માન કરવા માટે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજીત કરાયો હતો. વાજપેયીએ સંબોધન શરૂ કરતાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. સ્ટેજ ઉપર ભાજપ સરકારના મંત્રીઓની સાથે આત્મારામ પટેલ પણ બેઠાં હતા. સભા પૂરી થતાં ભાજપના કાર્યકરો તોફાને ચઢ્યા હતા.
જે મંત્રી હાથમાં આવે તેને ધક્કે ચઢાવી અપમાનિત કરાતા હતા. સ્ટેડિયમમાં અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો. લોકો ભાગવાની કોશિશ કરી રહ્યાં હતા. તે સમયે મંત્રી આત્મરામ પટેલ તો સ્ટેડિયમની બહાર જઈ શકે તેમ ન હતા. એટલે ટોળાએ તેમને નિશાન બનાવ્યું. એક તોફાની કાર્યકરે તેમને ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા. એટલુ જ નહીં, માર મારી ધોતીયું ખેંચી લીધું હતું. પોલીસ આવતા આત્મારામે ભાગી જવા મજબૂર થવુ પડયુ હતું.
ભાજપના કેટલાક નેતાઓએ ધોતીયાકાંડનો દોરી સંચાર માટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. ધોતિયાકાંડ કરવા ખાડિયાના કેટલાક યુવાનોને જવાબદારી સોંપાઈ હતી. કોણે કોને ટાર્ગેટ કરવાના છે તે અગાઉથી નક્કી કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રવિણ તોગડીયાને પણ આ કેસમાં બિનજામીન પાત્ર વોરંટ આપવામાં આવ્યું હતું.
મહેસાણાના સહકારી આગેવાન અને ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ ભાજપ છોડી શંકરસિંહ વાઘેલાએ બનાવેલા નવા પક્ષ રાજપામાં ગયા હતા. જેના કારણે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ બહાર વર્ષ 1996માં ભાજપના કાર્યકરોએ તેમનું ધોતિયું ખેંચ્યુ હતું. આ ધોતિયાકાંડને પગલે ભાજપને ઘણી રાજકીય બદનામી વ્હોરવી પડી હતી.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.