થરા APMCમાં ગુરૂ અણદા પટેલ પાસેથી ચેલા ઈશ્વર ચૌધરીએ સત્તા આંચકી!
ભાજપની પરિવર્તન અને અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે ખેલાયો હતો ચૂંટણી જંગ

ભાજપની પરિવર્તન પેનલે 11 બેઠકો અને અણદા પટેલની પુનરાવર્તન પેનલે 3 બેઠકો જીતી

ભાજપની પરિવર્તન પેનલે 11 બેઠકો અને અણદા પટેલની પુનરાવર્તન પેનલે 3 બેઠકો જીતી
બનાસકાંઠા જિલ્લાની થરા APMCની ચૂંટણીમાં ગુરૂ અણદા પટેલ પાસેથી ચેલા ઈશ્વર ચૌધરીએ સત્તા આંચકી લીધી છે. થરા APMCની 14 બેઠકોની ચૂંટણીમાં ચેલા ઈશ્વર ચૌધરીની આગેવાનીમાં ભાજપની પરિવર્તન પેનલના 11 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જ્યારે ગુરૂ અણદા પટેલની પુનરાવર્તન પેનલના માત્ર 3 ઉમેદવારો જીતી શક્યા હતા.
પાંચ ટર્મ સુધી ચેરમેન રહેલા અણદા પટેલને હરાવી ઈશ્વર ચૌધરીએ થરા APMCમાંથી સત્તા આંચકી લીધી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચેરમેન અણદા પટેલને ભાજપે મેન્ડેટ નહી આપતાં બળવો કરીને પુનરાવર્તન પેનલ ઉતારી હતી. જ્યારે ભાજપે અણદા પટેલને હરાવવા ઈશ્વર ચૌધરીની આગેવાનીમાં પરિવર્તન પેનલ બનાવી હતી.
થરા APMCના નિયામક મંડળની 14 બેઠકો માટે સોમવાર(30 જૂન)ના રોજ મતદાન થયું હતું. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં હતા. ખેડૂત વિભાગમાં 97.05 ટકા અને વેપારી વિભાગમાં 100 ટકા મતદાન થયુ હતું. મંગળવારે (1 જુલાઈ) સવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.
થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ભાજપ પ્રેરિત પેનલના ઈશ્વર ચૌધરીની પરિવર્તન પેનલ સામે માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે જંગ ખેલાયો હતા. મંગળવારે હાથ ધરાયેલી મત ગણતરીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી થયા હતા. જ્યારે અણદા પટેલ સહિત બે ઉમેદવારો પુનરાવર્તન પેનલના જીત્યા હતા.
વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલે આંચકી લીધી હતી. જ્યારે અણદા પટેલની પુનરાવર્તન પેનલને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. આમ, થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં પાંચ ટર્મથી સત્તા સંભાળી રહેતાં પૂર્વ ચેરમેન અણદા પટેલ પાસેથી તેમના ચેલા ઈશ્વર ચૌધરીએ સત્તા આંચકી લીધી હતી.
ભાજપની પરિવર્તન પેનલને જીતાડવા બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ખૂબ મહેનત કરી હતી. અણદા પટેલને અગાઉ બનાસ બેંકના ચેરમેન પદેથી હટાવીને હવે થરા માર્કેટયાર્ડના ચેરમેનપદેથી પણ હટાવવામાં શંકર ચૌધરી સફળ રહ્યા છે.
ભાજપના નેતાઓ વચ્ચે સહકારી સંસ્થાઓ કબજે કરવાની રીતસરની હોડ જામી છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરી બળવો કર્યો હતો. થરા APMCની ચૂંટણીમાં અણદા પટેલને ભાજપે મેન્ડેટ નહી આપતાં બળવો કરી પોતાની પેનલ ઉતારી ભાજપ સામે મેદાને પડ્યા હતા. અણદા પટેલની હાર થતાં તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા છે. જ્યારે ભાજપ સરકારના એક મંત્રી અને ભાજપ સંગઠનના એક હોદ્દેદાર વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે મહેસાણાની દૂધસાગર ડેરીમાં લાફા કાંડ અને પાવડર કાંડ બાદ વિવાદ ઘેરાયો છે. દૂધસાગર ડેરીના જાતિવાદની આગ ઉત્તર ગુજરાતમાં ભાજપને દઝાડે તેવી પૂરેપૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?