રાજ્યસભા માટે ચાર સભ્યો કરાયા નોમિનેટઃ જાણો કોણ બનશે રાજ્યસભા સાંસદ?
રાષ્ટ્રપતિએ ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા, સદાનંદન માસ્ટર અને મિનાક્ષી જૈનને કર્યા નોમિનેટ

ભારતીય બંધારણની જોગવાઈ મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિને સત્તા

ભારતીય બંધારણની જોગવાઈ મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિને સત્તા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 સભ્યોને નોમિનેટ કર્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, કેરળના શિક્ષણવિદ સદાનંદન માસ્ટર, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને ઈતિહાસકાર મિનાક્ષી જૈનનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા. તેઓ મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. કેરળના સમાજસેવક અને શિક્ષણવિદ સી.સદાનંદન માસ્ટર, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા તેમજ ઇતિહાસકાર અને શિક્ષણવિદ મીનાક્ષી જૈન રાજ્યસભામાં જશે. નામાંકિત સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડેલી બેઠકો ઉપર નિમણૂકો કરવામાં આવી છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 80 (3) મુજબ રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા હોય છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે તેમની પસંદગી કરવામાં આવે છે. રાજ્યસભામાં કુલ 245 સાંસદો છે. જેમાંથી 233 ચૂંટાયેલા અને 12 નામાંકિત સાંસદોનો સમાવેશ થાય છે.
હર્ષવર્ધન શ્રૃંગલા રહી ચૂક્યા છે અમેરિકા, બાંગ્લાદેશ અને થાઇલેન્ડના રાજદૂત
હર્ષવર્ધન શ્રૃંગલા ભૂતપૂર્વ વિદેશ સચિવ છે. તેઓ અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ, બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં રાજદૂત રહી ચૂક્યા છે. વર્ષ 2023માં ભારતના G-20 અધ્યક્ષતા માટે મુખ્ય સંયોજક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
મુંબઈના આતંકવાદી હુમલા કેસમાં નિકમે સરકારનો પક્ષ રજૂ કર્યો
ઉજ્જવલ દેવરાવ નિકમ કાયદા ક્ષેત્રે જાણીતું નામ છે. તેમણે મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં સરકારી વકીલ તરીકેની જવાબદારી નિભાવી હતી. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ સદાનંદન માસ્ટરના પગ કાપી નાખ્યા હતા
રાજ્યસભામાં નામાંકિત સી.સદાનંદન માસ્ટર કેરળથી ભાજપના સભ્ય છે. તેઓ ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 25 જાન્યુઆરી, 1994ના રોજ સદાનંદન રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા. તેમના વતન નજીક સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ બંને પગ કાપી નાખ્યા હતા.
મીનાક્ષી જૈન દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં પ્રોફેસર
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કરેલાં ડૉ.મીનાક્ષી જૈન ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં ઇતિહાસના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર છે.
સંસદમાં લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહો છે. રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તેના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો છે અને દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. બંને ગૃહોનું મુખ્ય કાર્ય કાયદો બનાવવાનું છે. પહેલા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવે છે. ચર્ચા બાદ સંમતિ મેળવી અથવા મતદાનથી બિલ પસાર કરી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બને છે.
રાજ્યસભાના સાંસદો કેવી રીતે ચૂંટાય છે?
રાજ્યસભાના સાંસદો નાગરિકો દ્વારા નહીં પણ પરોક્ષ રીતે ચૂંટાય છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો રાજ્યસભાના સાંસદોને ચૂંટે છે. ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે જે તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા અનુસાર મતદાન કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોની પસંદગી કરવામાં આવે છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં કુલ 245 સાંસદો છે. જેમાંથી 233 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે. જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા 12 રાજ્યસભાના સાંસદોને નોમિનેટ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેટ કરતાં હોય છે.
તેઓ સામાન્ય ચૂંટણીઓ દ્વારા સંસદ સુધી પહોંચી શકતા નથી. સ્વતંત્રતા પછી રાષ્ટ્રપતિ દ્વારા અનેક હસ્તીઓની રાજ્યસભા માટે પસંદગી કરવામાં આવી છે. લતા મંગેશકર, એમ.એસ. સુબ્બુલક્ષ્મી, ઝાકિર હુસૈન, રવીન્દ્ર જૈન, અભિનેત્રી રેખા અને સચિન તેંડુલકરનો તેમાં સમાવેશ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?