ચાર મુખ્યમંત્રી બદલાયા, પરંતુ એક મંત્રી હજુ યથાવત
ભાવનગર ગ્રામ્યના MLA અને કોળી નેતા પરસોત્તમ સોલંકી સતત 18 વર્ષથી મંત્રીપદે યથાવત

પરસોત્તમ સોલંકી, મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી

પરસોત્તમ સોલંકી, મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ કરાયું છે. નવા મંત્રીમંડળમાં 25 ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં 6 ધારાસભ્યોને મંત્રીપદે રિપિટ કરાયા છે. જો કે, એક ધારાસભ્ય એવા છે કે જેઓ ચાર મુખ્યમંત્રીઓ અને અનેક વખત મંત્રીમંડળ બદલાવા છતાં 18 વર્ષથી મંત્રીપદે યથાવત છે. કોળી સમાજના કદાવર નેતા અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીનું મંત્રીપદ યથાવત રહ્યું છે. આ વખતે પણ તેમને મત્સ્ય ઉદ્યોગ વિભાગ ફાળવાયો છે.
પરષોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ રહ્યા છે. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત ચાર વખત મુખ્યમંત્રી બદલાયા છે. પરંતુ તમામ મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં પરષોત્તમ સોલંકીએ સ્થાન જાળવી રાખ્યું છે. 18 વર્ષમાં અનેક વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયુ છે. પરંતુ, પરષોત્તમ મંત્રી પદે યથાવત રહ્યા છે.
વર્ષ 2008 માં મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ કૌભાંડનો આરોપ લાગ્યો હતો. ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રાક્ટ આપી દીધા હોવાની ફરિયાદ થઈ હતી. તેના કારણે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.
કોણ છે પરષોત્તમ સોલંકી?
ભાવનગર, અમરેલી સહિત દરિયાકાંઠા વિસ્તારના કોળી સમાજના પ્રભુત્વવાળા વિસ્તારમાં પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પહેલા ઘોઘા બેઠક પરથી અને ત્યારબાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી જીતતા આવ્યા છે. પરસોત્તમ સોલંકીની એક એવા નેતા છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી.
પરસોત્તમ સોલંકી વર્ષ 1996માં ભાવનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ વર્ષ 1997માં ભાજપમાં જોડાઈ ગયા હતા. પરસોત્તમ સોલંકી વર્ષ 1998માં પહેલી વખત ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. વર્ષ 2012માં નવા સીમાંકનમાં ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી ગઈ હતી. તેથી બેઠક બદલાતા વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતીને છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?