પ્રજાનો બદલાયો મિજાજ: ઘારાસભ્યોમાં દોડધામ
ગુજરાતની જનતા જાગી! વિસાવદરવાળી થવાના ડરે ભાજપના નેતાઓમાં ફેલાયો ફફડાટ

વિસાવદરવાળી થવાના ડરે ભાજપમાં ફફડાટ

વિસાવદરવાળી થવાના ડરે ભાજપમાં ફફડાટ
તાજેતરમાં યોજાયેલી વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત ભાજપ માટે એક મોટો બોધપાઠ બની હોય તેવું લાગી રહ્યું છે. આ જીત બાદ ભાજપના નેતાઓમાં જાણે કે અચાનક આળસ મરોડીને જાગૃતિ આવી હોય તેમ, તેઓ ફરીથી સક્રિય બની નાગરિકોના કામોને યાદ કરવા માંડ્યા છે. નેતાઓમાં એક જ ફફડાટ પેસી ગયો છે કે જો "વિસાવદરવાળી" થશે, તો તેમની વોટબેંકને ગંભીર નુકસાન થઈ શકે છે.
પ્રજા જાગૃત થઈ, નેતાઓનો ઉધડો શરૂ!વિસાવદર પેટાચૂંટણી બાદ ગુજરાતની જનતા પણ હવે વધુ જાગૃત બની હોય તેમ નેતાઓનો ઉધડો લેતી જોવા મળી રહી છે. હાલમાં જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે પ્રજાએ માંડેલો મોરચો તેનું તાજુ ઉદાહરણ છે. સોશિયલ મીડિયામાં માત્ર પોસ્ટ મૂકીને વાહવાહી લૂંટતા ધારાસભ્યોને હવે લોકો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે, "કામ કરો, નહીં તો વિસાવદરવાળી થશે!"
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ લોકોએ સોશિયલ મીડિયા પર આડે હાથ લીધા છે. ધારાસભ્ય ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદો અને વીજળીના પ્રશ્નો બાબતે લોકોએ તેમનો ઉધડો લીધો છે. ભાજપ સરકાર હોવા છતાં પૂરતા શિક્ષકો ન હોવા સહિતના મુદ્દે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ વાયરલ થઈ છે. ખેડૂતોને ખાતર ન મળતું હોવા છતાં માત્ર સોશિયલ મીડિયામાં "ફાંકા ફોજદારી" કરતા હોવાની પોસ્ટ્સ પણ વાયરલ થઈ છે. કેનાલમાં પાણી છોડવા સહિતના મુદ્દે ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ અનેક સવાલો કર્યા છે. "વિશ્વ ગુરુ" અને "યોગ"ની વાતોથી કંટાળીને લોકોએ ધારાસભ્યએ મૂકેલી પોસ્ટ્સ ઉપર ખુલ્લેઆમ બળાપો ઠાલવ્યો છે.
બહુમતીનો મદ અને વિસાવદરનો જવાબઅત્યાર સુધી બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યા હતા અને પ્રજાના પ્રશ્નોને આંખ આડા કાન કરી રહ્યા હતા. પરંતુ, વિસાવદરની જનતાએ ભાજપને સ્પષ્ટ જવાબ આપ્યો છે. આ પેટાચૂંટણી બાદ હવે ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલાયું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે લોકોનો મિજાજ બદલાયો છે અને તેઓ પોતાના વિસ્તારના ધારાસભ્યોને સવાલો પૂછતા થયા છે. લોકો હવે નેતાઓ પાસેથી તેમના કામોનો રિપોર્ટ માંગી રહ્યા છે.
એટલું જ નહીં, હવે મતદારો સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને સુણાવી રહ્યા છે કે, "વાતોના વડાં કરશો નહીં, પ્રજાના કામો કરો, પરિણામ આપો, નહીં તર વિસાવદરવાળી થશે તે વાત નક્કી છે." વિસાવદર પેટાચૂંટણી પછી ગુજરાતમાં લોકોનો મિજાજ એવો બદલાયો છે કે જાણે ચારેકોર સરકાર વિરોધી દેખાવો-પ્રદર્શન અને આંદોલનની સીઝન જામી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
પ્રજાનો આક્રોશ અને સરકાર પર દબાણગુજરાતમાં પ્રજા સરકારથી કંટાળી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને સવાલો કરી રહી છે. ખાસ કરીને, ગંભીરા બ્રિજ દુર્ઘટના, ખાડાવાળા રોડ-રસ્તા, અને પાણી ભરાવાની સમસ્યાને પગલે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે. જનઆક્રોશ એટલી હદે ભભૂક્યો છે કે સરકાર વિરોધી માહોલ ઊભો થયો છે. આના કારણે સરકાર અને પક્ષે ધારાસભ્યોને પ્રજા વચ્ચે જવાનો આદેશ આપવો પડ્યો છે.
આ પરિવર્તન દર્શાવે છે કે હવે ગુજરાતની જનતા મૌન રહેવા તૈયાર નથી. તેઓ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબદારીપૂર્વક કામગીરીની અપેક્ષા રાખે છે અને જો કામ નહીં થાય તો "વિસાવદરવાળી" જેવું પરિણામ આપવા પણ સક્ષમ છે. આ એક લોકશાહીનું સકારાત્મક પાસું છે, જ્યાં પ્રજાની જાગૃતિ નેતાઓને લોકોના હિતમાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?