GCMMF નવા સુકાની બન્યા મહેસાણાના અશોક ચૌધરી!
ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન

વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબર ડેરીના ભાવફેરનો મુદ્દો નડી ગયો, દૂધિયા રાજકારણમાં ઉભરો

વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબર ડેરીના ભાવફેરનો મુદ્દો નડી ગયો, દૂધિયા રાજકારણમાં ઉભરો
રાજ્યની સહકારી ડેરીઓ માટે મહત્વના ગણાતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી અંગે છવાયેલી ઉત્કંઠાનો અંત આવ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી GCMMF નવા ચેરમેન બન્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યા છે.
GCMMFના ચેરમેનપદમાં ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરીયનના નિધન બાદ ઉત્તર ગુજરાતની ડેરીઓના ચેરમેન GCMMFના ચેરમેન બન્યા છે. રાજ્યના 18 દૂધ સંઘોમાંથી GCMMF ઉત્તર ગુજરાતની દૂધસાગર, સાબર, બનાસ તેમજ આણંદની અમૂલ ડેરીનો દબદબો રહ્યો છે. આ દૂધ સંઘોના ચેરમેન GCMMF ચેરમેન બનતાં આવ્યા છે. જે સિલસિલો જાળવી રાખ્યો છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી માટે ગાંધીનગરમાં ખાસ બેઠક મળી હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ પંચાલે બેઠક કરી હતી. ભાજપે યુવા ચહેરાને GCMMFનું સુકાનપદ સોંપવાનો નિર્ણય કરીને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનું મેન્ટેડ આપ્યું હતું.
શામળ પટેલને સાબર ડેરીનો વિવાદ નડી ગયો
તાજેતરમાં સાબર ડેરીએ ચુકવેલા વાર્ષિક ભાવફેરને લઈ પશુપાલકો વિરોધ ઉપર ઉતરી આવ્યા હતા. પશુપાલકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટિયર ગેસના શેલ છોડી લાઠી ચાર્જ પણ કર્યો હતો. જ્યારે એક પશુપાલકનું મોત પણ થયું હતું. પશુપાલકોએ પોલીસના વાહનો અને સાબર ડેરીના ગેટની તોડફોડ કરી હતી. 47 જેટલા પશુપાલકો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા ભાવફેરનો વિવાદ ઉભો થવો શામળ પટેલ માટે રાજકીય સંકેત હતો. તેના કારણે શામળ પટેલને રિપિટ ન કરાયા હોય તેમ લાગી રહ્યું છે.
શા માટે અશોક ચૌધરીની પસંદગી કરાઈ?
શામળ પટેલે ચેરમેન તરીકે અને વલમજી હુંબલે વાઈસ ચેરમેન તરીકે બે ટર્મ પૂરી કરી હતી. તેથી ત્રીજી ટર્મ માટે રિપિટ થવાની શક્યતા નહિવત હતી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હોવાથી તેઓ GCMMFના ચેરમેન બની શકે તેમ નહોતા. GCMMFમાં દૂધના જથ્થાની દ્રષ્ટિએ કુલ ટર્નઓવરમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીનો હિસ્સો 55 ટકા ગણાય છે. જ્યારે બાકીના 45 ટકામાં રાજ્યની 15 ડેરીઓ આવે છે. તેથી ઉત્તર ગુજરાતની ડેરીઓમાંથી પસંદગી કરવાની થાય તો દૂધસાગર ડેરીના ચેરમેન ફિટ બેસે તેમ હતાં. યુવાન અને નવો ચહેરો તેમજ દૂધાસાગર ડેરીમાં સત્તા સંભાળ્યા બાદ પશુપાલકોને દૂધનો ઐતિહાસિક ભાવ વધારો આપી લોકપ્રિય ચેરમેન સાબિત થયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આશીર્વાદ
ગુજરાતની મોટી ગણાતી સહકારી સંસ્થાઓમાં ચેરમેનો અને વાઈસ ચેરમેનોની પસંદગીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિર્ણય કરતાં હોય છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીને ચેરમેનપદનો ચહેરો બનાવવામાં તેમજ વિપુલ ચૌધરી સામે અશોક ચૌધરીની પેનલ ઉતારી જીત મેળવવામાં તેમની ભમિકા મહત્વની રહી હતી. જ્યારે રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ખાસ માણસ ગણાય છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના નિર્ણયો ઋષિકેશ પટેલની સહમતિથી થતાં હોય છે.
અશોક ચૌધરી માટે GCMMFના ચેરમેનપદ સુધી પહોંચવામાં અમિત શાહ અને ઋષિકેશ પટેલના આશીર્વાદ કારણભૂત છે. મહત્વપૂર્ણ છે કે, GCMMFના ચેરમેનપદ માટે અશોક ચૌધરી હોટ ફેવરિટ હોવાથી તેઓ GCMMFના ચેરમેન ન બને તે માટે થોડા સમય અગાઉ દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન વચ્ચે વિવાદ ઉભો કરાયો હતો. અશોક ચૌધરી ફેડરેશનના ચેરમેનપદ સુધી ન પહોંચે તે માટે ભાજપના એક નેતાએ યોગેશ પટેલનો ખભો વાપરી વિવાદ ચગાવ્યો હતો.
કોણ છે GCMMF નવા સુકાની?
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી પણ સંભાળી છે, મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. તેઓએ મિકેનીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2015 માં તેઓ દૂધસાગર ડેરીના ડિરેક્ટર હતા. વર્ષ 2021થી તેઓ દૂધસાગર ડેરીના ચેરમેન છે.
18 દૂધ સંઘના ચેરમેનોનું મતદાન
સાબર ડેરીના શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના વલમજી હુંબલ, આણંદની અમૂલ ડેરીના વિપુલ પટેલ, બનાસ ડેરીના શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના અશોક ચૌધરી, સુરતની સુમુલ ડેરીના માનસિંહ પટેલ, વલસાડની વસુધા ડેરીના ગમન પટેલ, વડોદરાની બરોડા ડેરીના દિનેશ પટેલ, ગોધરાની પંચામૃત ડેરીના જેઠા ભરવાડ, આબાદ ડેરીના મોહન ભરવાડ, ગાંધીનગર મધુર ડેરીના શંકરસિંહ રાણા, રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા, ભરૂચ દૂધધારા ડેરીના ઘનશ્યામ પટેલ, સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના નરેશ મારૂ, અમરેલી અમર ડેરીના અશ્વિન સાવલિયા, ભાવનગરની સર્વોત્તમ ડેરીના મહેન્દ્ર પનોત, જૂનાગઢની સાવજ ડેરીના દિનેશ ખટારિયા અને પોરબંદરની સુદામા ડેરીના આકાશ રાજશાખે મતદાન કર્યુ હતું.
GCMMFમાં અત્યાર સુધી કોણે શોભાવ્યું ચેરમેનપદ?
વર્ષ 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સ્થાપના કરવામાં આવી હતી. GCMMFના પ્રથમ ચેરમેન શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયન બન્યા હતા. ત્યારબાદ બનાસ ડેરીના પરથી ભટોળ, દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી, સાબર ડેરીના જેઠા પટેલ, અમૂલ ડેરીના રામસિંહ પરમાર અને સાબર ડેરીના શામળ પટેલ ચેરમેન બન્યા છે. શામળ પટેલ વર્ષ 2020માં ચેરમેન બન્યા બાદ તેઓને જાન્યુઆરી 2023માં રિપિટ કરાયા હતા. જ્યારે 22 જુલાઈથી 2025થી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ચૂંટાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?