

રાજ્યના 110 તાલુકામાં મેઘતાંડવ: ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ 10.55 ઈંચ વરસાદ
રાજ્યમાં આગામી સાત દિવસ મેઘમહેર, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ
અમદાવાદમાં એસજી હાઇવે, સેટેલાઇટ, જોધપુર, વેજલપુરમાં વરસાદની એન્ટ્રી
સુરતના હીરા બજારમાં વરસાદી પાણી ભરાયા
ભારે વરસાદ વચ્ચે પણ 2 ઓગસ્ટે TAT હાયર સેકન્ડરી પરીક્ષા રાબેતા મુજબ યોજાશે
પાવાગઢમાં ધોધમાર વરસાદ, પગથિયાં પર પાણીની ધારા વહેતી થઈ
રાજ્યના 106 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગુજરાત: રાજ્યમાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં જ વ્યાપક ધોરણે 110 તાલુકાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 10.55 ઈંચ અતિભારે વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને મધ્ય ગુજરાતના આણંદ તથા ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
અમદાવાદમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. એસ.જી. હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે આજે બપોર બાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સુરતના હીરા બજારમાં વરસાદી પાણી ભરાયા મીની બજાર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયું ભારે વરસાદને પગલે હીરાના કારખાનાઓ બંધ રાખવા આદેશ કારખાનાઓની બહાર પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં.
ભારે વરસાદની આગાહી વચ્ચે TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. 2 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ બે સેશનમાં લેવામાં આવશે. પ્રથમ સેશન સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યા સુધી અને બીજા સેશનમાં બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષાને લગતી તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 50 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ શહેરના 67 પરીક્ષા કેન્દ્રો પર 11,865 ઉમેદવારો પરીક્ષામાં બેસશે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રોના બિલ્ડિંગના પ્રથમ માળ પર બેઠક વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર ડુંગર વિસ્તાર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ધોધમાર વરસાદના પગલે પાવાગઢના પગથિયાં પર પાણીની ધારા વહેતી જોવા મળી હતી, જેના કારણે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં તંત્ર સતર્ક બન્યું હતું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ 15 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.
Loading Comments...