હોસ્ટેલમાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ધરણા પર
સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા, સ્વચ્છતાના અભાવે વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા

વિદ્યાર્થીઓ ધરણા પર

વિદ્યાર્થીઓ ધરણા પર
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા 500થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે ભોજનની અત્યંત ખરાબ ગુણવત્તાથી કંટાળીને મોટો હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા અંતે વિદ્યાર્થીઓનો અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો.
ABVPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ
સમરસ બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા, સ્વચ્છતાની દયનીય સ્થિતિ, અને ખુલ્લાં સ્વિચ બોર્ડ જેવી વીજળીની બેદરકારી સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધરાત્રે બળવો કર્યો હતો અને ધરણા પર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ABVPના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું, જે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈને મધરાત સુધી ચાલ્યું હતું.
આ પણ વાંચો: વડોદરાની એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલરનું રાજીનામુ
ટોઈલેટ-બાથરૂમની સમસ્યા
સમરસ બોયઝ હોસ્ટેલમાં ખરાબ ભોજનની ગુણવત્તા ઉપરાંત, અન્ય ગંભીર સમસ્યાઓમાં ટોઈલેટ-બાથરૂમની સમસ્યા મુખ્ય છે. હોસ્ટેલના પહેલા માળે 150 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, જેમના માટે માત્ર 2 ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી એક બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. પરિણામે, 150 વિદ્યાર્થીઓને એક જ ટોઈલેટ-બાથરૂમનો ઉપયોગ કરવા મજબૂર થવું પડી રહ્યું છે.
વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ
આ ઉપરાંત, દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવાના નિયમ હોવા છતાં, સમરસ બોયઝ હોસ્ટેલમાં એક પણ વિદ્યાર્થીને આ વસ્તુઓ ફાળવવામાં આવતી નથી. વિરોધ દરમિયાન, હોસ્ટેલના વોર્ડનને તાત્કાલિક બોલાવવાની માંગણી કરવામાં આવી હતી, જેમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓ અને હોસ્ટેલની સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
ખુલ્લા સ્વિચ બોર્ડ અને ઉગ્ર આંદોલનની ચીમકી
હોસ્ટેલમાં સલામતીનો ગંભીર અભાવ જોવા મળે છે, ખાસ કરીને વીજળીના મામલે. હોસ્ટેલના રુમોમાં છેલ્લા ઘણા સમયથી સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે, જેનાથી કોઈ મોટી દુર્ઘટના થવાનો ભય રહે છે, છતાં પ્રશાસન દ્વારા તેને રિપેર કરાવવાની તસ્દી લેવામાં આવતી નથી. હોસ્ટેલમાં હોબાળો વધતાં, સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટપણે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 7 દિવસમાં તેમની સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહિ આવે, તો તેઓ આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!